અમરેલી જીલ્લામાં આવેલું ખીજડીયા જંકશન નામનું સાવ નાનું એવું ગામ. આ ગામના જંકશન પર રેલ્વેનું ક્રોસીંગ થતુ હતું આથી રેલ્વેમાં મુસાફરી કરતા લોકો સિવાય બહુ ઓછા આ ગામને ઓળખતા હશે. અમરેલીમાં શિક્ષક તરીકે નોકરી કરતા બે મિત્રો શિવરાત્રીનો મેળો કરવા માટે રેલ્વેમાં જુનાગઢ જઇ રહ્યા હતા. અમરેલીથી જુનાગઢ જતા વચ્ચે આ ખીજડીયા જંકશન આવે. અહીં રેલ્વેનું ક્રોસીંગ હોવાથી લગભગ અડધો કલાક ટ્રેન ઉભી રહે. બંને શિક્ષકો પ્લેટફોર્મ પર ચા પીવા માટે એક લારી પર ગયા. ચાની લારી પર 12 વર્ષનો એક છોકરો કપ રકાબી સાફ કરી રહ્યો હતો. શિક્ષકે ચાની લારી વાળાને આ છોકરા વિષે પુછ્યુ એટલે એમણે કહ્યુ , ” સાહેબ, મારો જ દિકરો છે પણ એને ભણવાનું નથી ગમતુ એટલે અહીંયા મને મદદ કરે છે.” ચા પીધા પછી આ શિક્ષકે છોકરાને બોલાવીને પુછ્યુ , ” બેટા , તને ભણવાનું નથી ગમતુ તો પછી શું ગમે છે ?” છોકરાએ કહ્યુ , “સાહેબ , મને ચિત્રો દોરવા ખુબ ગમે. જુઓ મારા દોરેલા આ ચિત્રો.” સિગારેટના ખાલી બોક્સ પર દોરેલા ચિત્રો જોઇને શિક્ષકો દંગ રહી ગયા. એમણે ચાની લારી વાળા ભાઇને કહ્યુ , ” આ છોકરો તો ખુબ આગળ વધી શકે તેમ છે અમે એને જુનાગઢથી પાછા આવીએ ત્યારે અમારી સાથે લઇ જઇએ અને અમારા ખર્ચે ભણાવીએ. છોકરાના પિતાએ આ માટે મંજુરી આપી અને શિવરાત્રીનો મેળો કરીને આવેલા આ શિક્ષકો કપ-રકાબી સાફ કરતા છોકરાને પોતાની સાથે લઇ ગયા.
છોકરાને એના મનગમતા ક્ષેત્રમાં આગળ વધવા માટે તમામ પ્રકારની મદદ કરી. એ છોકરાએ વડોદરાથી ફાઇન આર્ટસનો કોર્સ કર્યો. મુંબઇમાં જઇને પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો. આર.કે.લક્ષ્મણ સાથે રહીને કાર્ટુન સીરીઝ ‘વાગલે કી દુનિયા’ બનાવી. પછી તો એની પ્રતિભા ભારત પુરતી મર્યાદીત ન રહેતા ભારત બહાર પહોંચી. ફિલ્મ બનાવવા માટેના સપના જોતો એ છોકરો આંતરરાષ્ટ્રીય ફિલ્મ નિર્માતા-નિર્દેશક તરીકે પ્રખ્યાત થયો. મહાનાયક અમિતાભ બચ્ચન પણ જેની સાથે કામ કરવાની મહેચ્છા રાખે છે એ ખીજડીયાના નલીનકુમાર પંડ્યા તરીકે ઓળખાતા અને હાલ ફાંસમાં રહેતા , છોકરાને આજે દુનિયા “પાન નલીન” ( Pan Nalin ) ના નામથી ઓળખે છે. અને પેલા અમરેલીના શિક્ષક એટલે ડો.વસંતભાઇ પરિખ.
મિત્રો , આપની શ્રેષ્ઠ કારકીર્દીનું ઘડતર આપના મનપસંદ ક્ષેત્રમાં જ કરી શકશો અને જો ઇરાદો પાકો હશે અને મનોબળ મજબુત હશે તો સફળતા તમારા કદમોમાં આળોટશે.

Good
ReplyDeleteGOOD
ReplyDelete