Monday, 12 March 2018

ગુણવંત શાહ

ગુજરાતી સાહિત્યના વાચકોને ‘ગુણવંત શાહ’ નામનો પરિચય આપવાની જરૂરજ ન હોય.
 આજે એમનો જન્મ દિવસ.
ગુણવંત શાહ (જન્મ: ૧૨ માર્ચ ૧૯૩૭, રાંદેર, સુરત, ગુજરાત) એ ડૉ. ગુણવંત બી. શાહ તરીકે પણ જાણીતા છે, તેઓ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક તેઓને ૧૯૯૭માં મળ્યો હતો
એમનું લખાણ વાંચવાનો પણ એક અનેરો અનુભવ છે અહીંયા થોડું લખાણ છે જે વાંચતા જ તમને મજા આવી જશે.

"જ્યાં સુધી માણસ વસ્તુને પ્રેમ કરવાનું અને બીજા માણસને વાપરવાનું બંધ ન કરે ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ અશક્ય છે. આનંદ પામવા માટે સહજને કિનારે ચાલવું પડે છે
વિખ્યાત અભિનેત્રી મેરિલીન મનરોનું અત્યંત કીમતી ઝવેરાત ચોરાઇ ગયું ત્યારે એ રૂપસુંદરીના દુ:ખનો પાર ન રહ્યો. તે સમયે એની સમીપે બેઠેલા પ્રેમીએ કહ્યું: ‘ડાર્લિંગ, જીવનમાં મને એક બાબત જડી છે. જે વસ્તુ તારે માટે રડી ન શકે તે વસ્તુ માટે તારે રડવાની જરૂર નથી.’
જ્યાં સુધી માણસ વસ્તુને પ્રેમ કરવાનું અને બીજા માણસને વાપરવાનું બંધ ન કરે ત્યાં સુધી આનંદની પ્રાપ્તિ અશક્ય છે. કવિ દુલા કાગે કહ્યું હતું: ‘આજનો માણસ સુખી થવા હાટુ દુ:ખી થાય છે.’ 

વિમ્બલ્ડન ટેનિસના જાણીતા ખેલાડી આર્થર એશ પર 1983માં હાર્ટસર્જરી થયેલી. તે વખતે એમને લોહી ચઢાવવામાં આવ્યું, તેને કારણે એમને એઇડ્સનો રોગ લાગુ પડી ગયો. એમની અંતિમ અવસ્થામાં કોઇકે પૂછ્યું: ‘તમને એવું નથી લાગતું કે કરોડો મનુષ્યોમાંથી ભગવાને આવા ભયંકર રોગ માટે તમારી જ પસંદગી શા માટે કરી?’ આર્થર એશનો જવાબ કોઇ મહાત્માને શોભે તેવો છે. આર્થરે કહ્યું: ‘આ દુનિયામાં પાંચ કરોડ બાળકો ટેનિસ રમવાનું શરૂ કરે છે. તેમાંથી કેવળ પચાસ લાખ બાળકો ખરેખર ટેનિસ શીખે છે.
તેમાંથી માત્ર 50 હજાર જણ ટેનિસ નિયમિત રીતે રમે છે. વળી તેમાંથી માંડ પાંચ હજાર જેટલા લોકો જ પ્રોફેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેતા હોય છે અને તેમાંથી માત્ર 50 ખેલાડીઓ વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પામે છે. એમાંથી પણ માત્ર ચાર જ ખેલાડીઓ સેમી ફાઇનલમાં પહોંચે છે અને માત્ર બે જ જણ ફાઇનલમાં રમે છે અને માત્ર એક જ માણસ છેવટે જીતે છે. એવા એક હોવાનું ગૌરવ જ્યારે મને પ્રાપ્ત થયું, ત્યારે મેં ભગવાનને એવું નહોતું પૂછ્યું કે: ‘આવા ગૌરવ માટે તેં મારી જ પસંદગી શા માટે કરી?’
આ પ્રસંગ ભગવાનના ભક્તોને ગમી જાય તેવો છે. ભક્ત માને છે કે કૃપાની યાચના કરવી, તો કેવળ ભગવાન પાસે જ કરવી. કબીર કહે છે:
હાથમેં કૂંડી, બગલમેં સોટા
ચારોં દિસિ જાગીરીમેં|
કહત કબીર સુનો ભાઇ સાધો
સાહિબ મિલૈ સબૂરીમેં
‘સાહિબ’ તો એકમાત્ર પરમેશ્વર જ હોઇ શકે. તકલાદી માણસના ‘સાહિબ’ પણ તકલાદી! 
કેવળ ભગવાનને જ બોસ માને તે ખરો ભક્ત!

2 comments: